નશાબંધી અને આબકારી ખાતું
http://www.prohibition-excise.gujarat.gov.in

પ્રશ્ન-ઉત્તર

7/12/2025 2:22:15 PM

(૧)

વિદેશી દારૂની પરમિટ મેળવવા શી કાર્યવાહી કરવી પડે છે ?

આ બાબતે જુદા જુદા પ્રકારના અરજદારોને અલગ અલગ પ્રકારની હેતુલક્ષી પરમિટો મળી શકે તેવી જોગવાઇઓ છે.

(ર)

હું રાજય બહારથી વિદેશી દારૂ ખરીદીને રાજયમાં લાવી શકું કે કેમ ?

વિદેશી પર્યટક હોય તેવી કોઇપણ વ્યકિત ગુજરાત રાજયમાં તેમના આગમન સમયે પ્રવાસીઓ માટેની પરમિટ ઉપર મળવાપાત્ર જથ્‍થો, ચોક્ક્સ શરતોને અધીન કોઇપણ પ્રકારના પાસ કે આબકારી જકાત સિવાય રાજયમાં લાવી શકે છે.
 

ભારત સરકારના પર્યટન વિભાગના અધિકારી દ્વારા કાઢી આપવામાં આવેલ, વિદેશી પર્યટક માટેની લીકર પરમિટ ધરાવતી કોઇ વ્યકિત આવી પરમિટ હેઠળ ર (બે) યુનિટ જેટલો વિદેશી દારુનો જથ્થો રાજયમાં કોઇપણ પ્રકારની આબકારી જકાત ભરપાઇ કર્યા સિવાય લાવી શકે છે.
 

આંતરરાષ્ટ્રીય વિમાન સેવા મારફતે રાજયમાં આવતી વ્યકિતઓ આ ખાતાના સક્ષમ અધિકારી પાસેથી યોગ્ય પ્રકારની પરમિટ મેળવ્યા બાદ જ કોઇપણ પ્રકારનો વિદેશી દારૂનો જથ્થો વિમાન મથકેથી રાજયની હદની અંદર લાવી શકશે.
 

ખાતા દ્વારા કાઢી આપવામાં આવેલ કોઇપણ પ્રકારની પરમિટ હેઠળનો જથ્થો રાજય બહારથી ખરીદી શકાશે નહીં.

(૩)

બહારના રાજયના મુલાકાતીને ટૂંકા ગાળા માટે વિદેશી દારૂની કોઇ પરમિટ મળી શકે કે કેમ ?

રાજયની મુલાકાતે મહત્તમ સાત દિવસ માટે આવતા મુલાકાતીને મુલાકાતીઓ માટેની પરમિટ કાઢી આપવાની જોગવાઇ અમલમાં છે.

(૪)

વિદેશી દારૂનો એક યુનિટ એટલે કેટલો જથ્થો ?

આમ વ્યકિત અને સંરક્ષણ દળના નિવૃત્ત સભ્યો માટે વિદેશી દારૂના એક યુનિટની વ્યાખ્યા અલગ-અલગ છે.

(પ)

 

વિદેશી દારૂના પરમિટધારક પોતાની પરમિટ હેઠળનો વિદેશી દારૂનો જથ્થો કઇ જગ્યાએથી ખરીદ કરી શકશે ?
વિદેશી દારૂના પરમિટધારક પોતાની પરમિટ હેઠળનો વિદેશી દારૂનો જથ્થો, સંબંધિત પરમિટની શરતોને આધીન,માત્ર રાજયમાંના માન્ય વેન્ડર્સ લાઇસન્સદાર પાસેથી ખરીદ કરી શકે છે.

(૬)

 

વિદેશી દારૂના પરમિટદાર પોતાની પરમિટ હેઠળ ખરીદ કરેલ જથ્થાનો કઇ જગ્યા વપરાશ કરી શકશે ?

પરમિટધારક, સંબંધિત પરમિટમાં જણાવેલ સરનામે અથવા જાહેર જગા ન હોય તેવી કોઇ જગ્યાએ જ વિદેશી દારૂનો વપરાશ કરી શકશે.

જે જગ્યાએ જાહેર જનતાને સહેલાઇથી પ્રવેશ મળી શકે કે જાહેર જનતાની અવરજવર રહેતી હોય તેવી જગાએ પરમિટધારક પરમિટ હેઠળ ખરીદ કરેલ વિદેશી દારુનો વપરાશ કરી શકશે નહીં.

(૭)

 

વિદેશી દારૂ ઉપભોગ માટેની કોઇપણ પ્રકારની પરમિટ એક નામથી બીજા નામે થઇ શકે કે કેમ ?

વિદેશી દારૂના ઉપભોગ માટેની તમામ પ્રકારની પરમિટો જે તે વ્યકિતના અંગત વપરાશ સારુ કાઢી આપવામાં આવતી હોવાથી તે અન્ય કોઇના નામે તબદીલ થઇ શકે નહીં.

(૮)

 

વિદેશી દારૂની મુલાકાતીઓ માટેની તથા હંગામી વસવાટની પરમિટો ઓછા સમય માટે જરૂરી હોય તો ફીમાં છૂટછાટ મળે ?

આ બન્ને પ્રકારની પરમિટોની નિર્ધારીત સમયમયાર્દા માટે ઠરાવેલ ફી વસૂલ કરવાની નિયમોમાં જોગવાઇ છે. ફીના દરોમાં છૂટછાટની કોઇ જોગવાઇ નથી.

(૯)

 

ગ્રીન કાર્ડ હોલ્ડર અને તે પ્રકારના અન્ય વસવાટના દસ્તાવેજો ધરાવતા ભારતીય પાસપોર્ટ ધારકને કયા પ્રકારની વિદેશી દારૂની પરમિટ મળે ?

આવી વ્યકિત જો ગુજરાતમાં મહત્તમ ૭ દિવસ રોકાણ કરનાર હોય તો રાજયમાં આવી તુરત જ સંબંધિત કચેરીને અરજી કરે તો ૭ દિવસની મુદતની મુલાકાતીઓ માટેની પરમિટ મળી શકે. પરંતુ આવી વ્યકિતએ પોતે રાજ્યમાં મુલાકાત અર્થે આવેલ હોવાના પુરાવા અને રાજ્યમાં પોતાના કામચલાઉ વસવાટ અંગેના આધારો રજૂ કરવાના રહેશે.  

(૧૦)

 

એક વખત કાઢી આપેલ વિદેશી દારૂની પરમિટ હેઠળ મળવાપાત્ર જથ્થા અને મુદતમાં સુધારો થઇ શકે?

કોઇપણ પ્રકારની પરમિટ હેઠળ, આવી પરમિટ કાઢી આપનાર સત્તાધિકારીએ તે કાઢી આપતા સમયે મંજૂર કરેલ જથ્થામાં કોઇ સુધારો-વધારો કરી શકાશે નહીં. પરંતુ આવા સત્તાધિકારીના હુકમથી નારાજ હોય તેવી કોઇ વ્યકિત સક્ષમ સત્તાધિકારી અપીલ કરી શકશે.

મુલાકાતીઓ માટેની પરમિટની મુદત મહત્તમ ત્રણ વખત નિયત ફી ભરપાઇ કર્યેથી વધી શકશે.

હંગામી વસવાટ માટેની પરમિટની મુદત જે તે નાણાકીય વર્ષના અંત સુધી નિયત ફી ભર્યેથી વધી શકશે. આવા અરજદારે પોતાનો વિઝા માન્ય હોવા અંગેના આધારો રજૂ કરવા પડશે.

(૧૧)

 

વિદેશી દારૂની પરમિટના ધારક અન્ય કોઇ વ્યકિતને આવી પરમિટ હેઠળનો વિદેશી દારૂનો જથ્થો આપી શકે ?

હંગામી વસવાટ માટેની પરમિટના ધારક, મુલાકાતીઓ માટેની પરમિટના ધારક અને પ્રવાસીઓ માટેની પરમિટના ધારક પોતાની પરમિટ હેઠળનો જથ્થો, આ પ્રકારની અન્ય કોઇ પરમિટના ધારકને આપી શકશે, પરંતુ સ્વાસ્થ્ય પરમિટધારકો તેમના માટેનો વિદેશી દારૂનો જથ્થો અન્ય કોઇને આપી શકશે નહીં.

(૧ર)

 

વિદેશી દારુની પરમિટ હેઠળ મંજૂરી થયેલ જથ્થો, પરમિટધારક વતી અન્ય કોઇ વ્યકિત ખરીદ કરી શકે કે કેમ ?

કોઇ સ્વાસ્થ્ય પરમિટધારકની પરમિટ હેઠળનો જથ્થો, તેમના વતી અન્ય કોઇ પુખ્ત વયની વ્યકિત, નિયત નમૂનામાં કાઢી આપવામાં આવેલ ઓથોરિટી હેઠળ ખરીદ કરી, પરમિટમાં જણાવેલ સ્થળ સુધી તેનું વહન કરી શકશે. આવી ઓથોરિટી માટે ઠરાવેલ ફી ભરપાઇ કરવાની રહેશે.

હંગામી વસવાટ માટેની પરમિટના ધારક વતી ખરીદી કરવા સારુ ઉપર મુજબની ઓથોરિટી અન્ય કોઇ હંગામી વસવાટની પરમિટના ધારકને જ મળી શકશે.

(૧૩)

 

સરકારી અધિકારી-ર્ક્મચારીને વિદેશી દારૂના અંગત ઉપયોગ માટેની પરમિટ મળી શકે કે કેમ ?

પોલીસ ખાતાના અને નશાબંધી અને આબકારી ખાતાના અધિકારી-ર્ક્મચારીને વિદેશી દારૂના વપરાશ માટેની કોઇપણ પ્રકારની પરમિટ મેળવવા ઉપર પ્રતિબંધ છે.
રાજય સરકારના અન્ય તમામ ખાતાના અધિકારી-કર્મચારીને સ્વાસ્થ્ય પરમિટની અરજી ઉપર એરીયા મેડિકલ બોર્ડ તરફથી ભલામણ મળ્યેથી જે તે અધિકારી-કર્મચારીના સર્વિસ મેડિકલ બોર્ડ તરફથી આવા અધિકારી-કર્મચારીની સરકારી નોકરી કરવાની આગળના સમયની શારીરિક ક્ષમતા બાબતે અભિપ્રાય મેળવવામાં આવશે.
રાજય સરકારના બોર્ડ-કોર્પોરેશન અથવા અન્ય સ્વાયત્ત સંસ્થાઓના કિસ્‍સાઓમાં સંબંધિત વિભાગના સચિવશ્રી તેમજ ભારત સરકારના બોર્ડ-કોર્પોરેશન તેમજ અન્ય સ્વાયત્ત સંસ્થાઓના સંદર્ભમાં આવા બોર્ડ-કોર્પોરેશનના એમ.ડી. તેમજ બેન્ક, એલ.આઇ.સી. જેવી સંસ્થાઓના સંદર્ભમાં રાજય કક્ષાના વિભાગીય વડાનું ના વાંધા પ્રમાણપત્ર પરમિટ માટે અરજી કરનાર અધિકારી-કર્મચારીએ, પરમિટ મેળવતા પહેલાં રજૂ કરવાનું રહેશે.

(૧૪)

 

 

સંરક્ષણ દળના નિવૃત્ત સભ્યોને કાઢી આપવામાં આવેલ સ્વાસ્થ્ય પરમિટો હેઠળનો જથ્થો કયાંથી ખરીદી શકાય ?

આ પ્રકારની સ્વાસ્થ્‍ય પરમિટો હેઠળના જથ્થાની ખરીદી, ખાતા દ્વારા કાઢી આપવામાં આવેલ માન્ય પરવાના ધરાવતી કેન્ટીનમાંથી કરી શકાય છે.
વિકલ્પે આવા પરમિટધારક, પોતાની પરમિટ હેઠળ સંરક્ષણ દળોએ નિશ્ચિત કરેલ જથ્થો, સિવિલિયન વેન્‍ડર્સ લાઇસન્‍સદાર પાસેથી પણ ખરીદ કરી શકે છે. આ પ્રમાણેની ખરીદી કરવા માટે પરમિટ કાઢી આપનાર સત્તાધિકારી પાસેથી પરમિટ ઉપર તે મતલબનો શેરો, નિયત ફી ભરપાઇ કરી કરાવવાનો રહેશે.

(૧પ)

મારા ઘર કે ઓફિસના ફર્નિચરને પોલિશ કરાવવા માટે (ફ્રેન્‍ચ) પોલિશ કઇ રીતે મળી શકે ?

ઘરગથ્થું ઉપયોગ માટે (ફ્રેન્ચ) પોલિશ ખરીદ કરી વપરાશ કરવા સારુ ડી.એસ.પી. ર પરમિટની જોગવાઇ છે. જે મહત્તમ ૭ (સાત) કવાર્ટ બોટલ માટે મળી શકે છે.

નોંધ: હાલની સ્થિતિએ રાજયમાં ફ્રેન્‍ચ પોલિશનું બોટલીંગ કરતા પરવાનેદારો અસ્તિત્વમાં નથી. જે સંજોગોમાં પોલિશ કામ કરનાર સુથાર કે અન્ય વ્યકિત આવા પોલિશ કામ સારુ ડી.એસ.પી. ૩ પરમિટ મેળવી શકે છે.

(૧૬)

 

મને ડાયાબીટીસ હોવાથી ઇન્સ્યુલીનના ઇંજેકશન લેવા સારુ સ્પિરિટ કઇ રીતે મળી શકે ?

ઘરગથ્થુ વપરાશ માટે સામાન્ય વિકૃત કરેલ સ્પિરિટ ખરીદીને વપરાશ કરવા માંગતી વ્યકિત, આ હેતુ માટે સક્ષમ અધિકારી પાસેથી ડી.એસ. ર પરમિટ મેળવી શકે છે.

(૧૭)

 

વૈદકીય ઉપયોગ માટે સ્પિરિટની જરૂરિયાત હોય તો કઇ રીતે મળી શકે ?

વૈદકીય, વૈજ્ઞાનિક કે શૈક્ષિણક હેતુ માટે સામાન્ય વિકૃત કરેલ સ્પિરિટ કબજામાં રાખી, વપરાશ, કરવા સારુ આવા સ્પિરિટના જથ્થા આધારિત ડી.એસ. ૩ કે ડી.એસ. ૪ પરવાનો મળી શકે છે.

(૧૮)

માન્ય પરવાના કે પરમિટ હેઠળ ખરીદ કરેલ વિકૃત સ્પિરિટની હેરફેર માટે શી જોગવાઇ છે ?

ડી.એસ.ર પરમિટ કે ડી.એસ.૩ અથવા ડી.એસ. ૪ પરવાનાધારકે જે જિલ્‍લામાંથી આવી પરમિટ, પરવાનો કાઢી આપવામાં આવેલ હોય તે જ જિલ્‍લામાંથી પોતાની પરમિટ, પરવાના હેઠળ ખરીદ કરેલ જથ્થાની હેરફેર માટે કોઇ વિશેષ પાસની જરુરીયાત નથી.

કવાર્ટ બોટલ સુધીની માસિક વપરાશ મયાર્દાવાળા ડી.એસ. પ પરવાનેદારે પણ પોતાના પરવાના હેઠળ ખરીદ કરેલ જથ્થાના પરિવહન માટે કોઇ પાસની આવશ્યકતા નથી.

(૧૯)

 

 

કોઇપણ કસ (Strength) વાળા ઇથેનોલને વિકૃત કરવા માટે હાલ રાજયમાં કયા ડીનેચરન્ટ કેટલી માત્રામાં માન્ય થયેલ છે ?

હાલ ખાતા દ્વારા અનેક જુદા જુદા ડીનેચરન્ટને માન્યતા આપવામાં આવેલ છે.

(ર૦)

 

ખાતા દ્વારા નિયંત્રિત પદાર્થો કયા કયા છે ?
 

હાલની સ્થિતિએ આ પદાર્થો ઉપર ખાતા દ્વારા એક યા બીજા પ્રકારનું નિયંત્રણ છે.

(ર૧)
 

ખાતા દ્વારા નિયંત્રિત પદાર્થોની રાજયની આરપાર થતી હેરફેર ઉપર કોઇ નિયંત્રણ છે ?

કાયદામાં વ્‍યાખ્યાયિત કોઇપણ કેફી પદાર્થ, ભાંગ, વિકૃત કરેલ સ્પિરિટવાળી બનાવટો, મહુડા ફૂલ, મોલાસીસ, અખાદ્ય ગોળ અને નવસારની રાજયના એક છેડેથી બીજા છેડા સુધીની હેરફેર માટે યોગ્ય સત્તાધિકારી દ્વારા કાઢી આપવામાં આવેલ થ્રુ ટ્રાન્સપોર્ટ પાસ અને આ ખાતાના કર્મચારીનો એસ્‍કોર્ટ જરુરી છે.

(રર)

 

કયા પદાર્થો કે ચીજવસ્તુઓ ઉપર ખાતા દ્વારા આબકારી જકાત વસૂલ કરવામાં આવે છે ?

ભારતીય બનાવટનો વિદેશી દારુ, ભાંગ, અફીણ, પોષ ડોડવા, રેક્ટિફાઇડ સ્પિરિટ અને એબ્સોલ્યુટ આલ્કોહોલ ઉપર તથા ગમે તેટલા કસ (Strength) વાળા કે કોઇપણ પ્રકારની શુદ્વતાવાળા ઇથેનોલ,નાર્કોટિક ડ્રગ કે નાર્કોટિક ધરાવતી ઔષધીય કે સૌંદર્યપ્રસાધન બનાવટો ઉપર આ ખાતા દ્વારા આબકારી જકાત વસૂલ કરવામાં આવે છે.
પરંતુ રેક્ટિફાઇડ સ્પિરિટના કબજા માટેનો યોગ્ય આર.એસ.ર પરવાનો ધરાવતી કોઇ વ્યકિત શુદ્વબુદ્વિપૂર્વકના સંશોધન કે શૈક્ષણિક હેતુઓ માટે અથવા કોઇ મ્યુઝીયમ કે પિકચર ગેલેરીમાં કોઇ નમૂનાઓની જાળવણી માટે જકાત મુકત રેક્ટિફાઇડ સ્પિરિટ કે એબ્સોલ્યુટ આલ્કોહોલ મળવી શકે છે.

(૨૩)

 

 

ઔદ્યોગિક એકમોની પૃથક્કરણ કે ગુણવત્તા ચકાસણી અર્થેની લેબોરેટરીમાં વપરાશમાં લેવાતા કોઇ પદાર્થો માટે ખાતાના પરવાનાની જરૂરત છે ?

હા, રેક્ટિફાઇડ સ્પિરિટ, એબ્સોલ્યુટ આલ્કોહોલ, ડીનેચર્ડ સ્પિરિટ અને નવસાર (એમોનિયમ કલોરાઇડ) તથા મીથેનોલના આવા ઉપયોગ માટે પરવાના કે પરમિટની જરૂરત છે.

પરંતુ મિથેનોલના IR, GR, EL, સ્‍પેશ્‍યલ ગ્રેડ, સ્પેકટ્રોસ્કોપિક ગ્રેડ, કાર ફિશર્સ રિએજન્ટ એ એન્ડ બી માટે તથા આવી લેબોરેટરી વાપરવામાં આવતા મિથેનોલયુકત ઇન્ડિકેટર્સના સોલ્યુશનના ઉપયોગ માટે પરવાનાની આવશ્યકતા રહેશે નહીં.

(ર૪)

મીથાઇલ આલ્કોહોલ પ્રવાહી સ્‍વરૂપે ધરાવતી કોઇ બનાવટ ઉપર કોઇ નિયંત્રણ છે ?

હા; આવી તમામ બનાવટોનો વપરાશ કે વેચાણ કરવા અથવા કબજો રાખવા ધારતી વ્યકિતઓ ઉદ્યોગ કમિશનરશ્રી, ગાંધીનગરની ભલામણના આધારે, આ ખાતાના વડા સમક્ષ આવી બનાવટને મીથેનોલ ગણવામાંથી મુકિત આપવા અરજી કરી શકે છે.

(રપ)

વિદેશી દારૂની પરમિટના ધારક, બીજી કોઇ પરમિટ મેળવવાને પાત્ર છે ?

વિદેશી દારૂની કોઇપણ પ્રકારની પરમિટના ધારક, આવી પરમિટની માન્યતાની મુદત દરમ્યાન, રાજયમાંના કોઇપણ સ્થળે તે જ પ્રકારની કે અન્ય કોઇ પ્રકારની પરમિટ માટે અરજી કરી શકશે નહિ કે મેળવી શકશે નહિ.

(ર૬)

નીરા કેન્દ્ર ઉપરથી નીરો ઘરે લઇ જઇ શકાય ?

ના; નીરા કેન્દ્ર ઉપરથી થતું નીરાનું વેચાણ જે તે સ્થળ ઉપર તેના પીણાં તરીકે ઉપયોગ માટે જ હોય છે.

ખાસ કિસ્સામાં જરૂરી તબીબી ભલામણ હેઠળ મેળવેલ નીરા પરમિટ નીચે ઠરાવેલ જથ્થામાં નીરો ઘરે લઇ જઇ તેનો ઉપયોગ કરી શકાય તેવી જોગવાઇ છે.

(૨૭)

કોઇપણ પ્રકારનો પરવાનો કે પરમિટ ખોવાઇ જાય, ચોરાઇ જાય, નાશ થઇ જાય કે અન્ય કોઇપણ રીતે ગુમ થઇ જાય તો ડુપ્લિકેટ મેળવવા માટે શી જોગવાઇ છે ?

વિદેશી દારૂની કોઇપણ પ્રકારની પરમિટની ઉપરના સંજોગોમાં ડુપ્લિકેટ મેળવવા માટે મૂળ પરમિટ મેળવતા સમયે ભરપાઇ કરેલ હોય તેટલી જ ફી ભરપાઇ કરવાની રહેશે.

અન્ય પ્રકારના પરવાના, પરમિટ વિગેરેના કિસ્સામાં આવી, ડુપ્લિકેટ મેળવવા સારુ મુળ પરવાનો, પરમિટ મેળવતા સમયે ભરપાઇ કરેલ હોય તેટલી ફી ના ૧૦ ટકા કે રૂ.પ૦ તે બે પૈકી, જે વધુ હોય તેટલી રકમ ભરપાઇ કરવાની રહેશે.

(૨૮)

 

દારૂ કે ડ્રગ્સનું બંધાણ ધરાવતી કોઇ વ્યકિત, આવા વ્યસનમાંથી મુકત થવા ઇચ્છતી હોય તો રાજયમાં કોઇ વ્યવસ્થા છે ?

આવા રોગીઓની સારવાર માટે કેન્દ્ર સરકાર તરફથી મળતા અનુદાન હેઠળ રાજયમાં જુદા જુદા સ્થળે વ્યસનમુકિત સલાહકેન્દ્ર, હોસ્પિટલ કાર્યરત્ છે. જયાં આવા રોગીઓને વિના મૂલ્યે સલાહ, સારવાર પુરી પાડવામાં આવે છે.

(ર૯)

 

શૈક્ષણિક સંસ્થા દ્વારા નશાબંધી પ્રચાર અંગે કોઇ કાર્યક્રમ કરવાનું આયોજન કરવા માટે ખાતા તરફથી શી સહાય મળી શકે ?

સંબંધિત જિલ્લા કચેરી ખાતે ઉપલબ્ધ નશાબંધી પ્રચાર અર્થેની ગ્રાન્‍ટની મર્યાદામાં આવા કાર્યક્રમના આયોજનનો પુરેપુરો કે અશંતઃ ખર્ચ મળી શકે.

(૩૦)

 

નશાબંધી નીતિની શી આવશ્યકતા છે ?

આ બાબત સરકારશ્રીની નીતિને લગત હોવાથી, આપશ્રી જનતાના ચૂંટાયેલા પ્રતિનિધિશ્રી મારફતે વિધાનસભામાં આ પ્રશ્ન પૂછાવી શકો છો.

(૩૧)

 

રાજય બહારથી આવતી કોઇ વ્યકિત કેફી પીણાંની અસર નીચે હોય અને આવી વ્યકિતએ કેફી પીણું રાજય બહાર પીધું હોય તો તે કાયદેસર છે ?

ના; આવી વ્યકિતની સામે કાયદેસર ફોજદારી કાર્યવાહી થઇ શકે છે. જે ગુના બદલ આવી વ્યકિતને ૬ માસ સુધીની કેદ અને એક હજાર રૂપિયા સુધીના દંડની શિક્ષા થઇ શકે છે.